સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૧૧ને રોજ સાંજે સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “વરતાલના બીજા વચનામૃતમાં ભગવાન કાળા છે કે પીળા છે કે લાંબા છે કે ટૂંકા છે કે સાકાર છે કે નિરાકાર છે એમ કહ્યું છે તે કાળા, પીળા આદિક કેવી રીતે સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પ્રકૃતિના પતિ મૂળપુરુષ જેવા જાણે તે કાળા જાણ્યા કહેવાય; કેમ જે એમને માયાનો સંબંધ છે, માટે એટલો જ મહિમા જાણે તો કાળા જાણ્યા કહેવાય. અને બ્રહ્મ તથા મૂળઅક્ષર જેવા જાણે તે પીળા જાણ્યા કહેવાય; કેમ જે એમને માયાનો સંબંધ તો નથી, પણ શ્રીજીમહારાજ આગળ પરાધીન છે તેથી. અને શ્રીજીમહારાજને દિવ્ય મૂર્તિમાન જાણે તે સાકાર જાણ્યા કહેવાય અને આકારે રહિત જાણે તે નિરાકાર જાણ્યા કહેવાય. અને સર્વદેશી જાણે તે લાંબા જાણ્યા કહેવાય અને એકદેશી જાણે તે ટૂંકા જાણ્યા કહેવાય. એવી રીતે શાસ્ત્રો શ્રીજીમહારાજને જાણી શક્યાં નથી.” ।।૧૧૨।।