સંવત ૧૯૬૮ના આસો સુદ-૧ને રોજ સાંજે સભામાં પુરાણી ધર્મકિશોરદાસજીએ પૂછ્યું જે, “મહારાજનું ને મુક્તનું સુખ કેવી રીતે આવે અને તે સુખ ભિન્ન ભિન્ન કેવી રીતે દેખાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જ્યારે મુક્તને સજાતિ થાય છે ત્યારે બધું માલમ પડે છે, પણ સજાતિ થયા વિના માલમ ન પડે. જેમ આ સભામાં અજાણ્યો માણસ આવે તેને બધા સરખા જણાય અને જે સદાય ભેળા રહેતા હોય તેમને સર્વેનાં રૂપ, ગુણ, નામ તથા મોટપ તે જુદી જુદી જેમ હોય તેમ જણાય; તેમ અક્ષરધામમાં શ્રીજીમહારાજ પાસે રહેતા હોય તેના જાણ્યામાં આવે છે. માટે સજાતિ થાય ત્યારે બધું માલમ પડે છે અને મહારાજનું ને મુક્તનું સુખ પણ વિભાગે સહિત જાણે છે ને લઈ શકે છે; તેમજ શ્રીજીમહારાજની મૂર્તિમાં રહ્યા થકા સંકલ્પની મૂર્તિઓ કરીને અનંત જીવોને અક્ષરધામમાં તેડી જાય છે.”

એમ વાત કરીને બોલ્યા જે, “શ્રીજીમહારાજની મૂર્તિમાં સુખ તો અપાર છે તે જ્યારે ખરેખરી એ સુખમાં ગતિ પહોંચે ત્યારે એને જાણપણું રહે, પણ એ સુખમાં ગતિ પહોંચી ન હોય ત્યાં સુધી ઓરું રહેવાય છે. એ સુખમાં જેની ગતિ પહોંચી છે તે તો એ સુખમાંથી પાર પામતા જ નથી. જ્યાં સુધી એ માર્ગમાં સિદ્ધતા થઈ નથી ત્યાં સુધી શ્રીજીમહારાજનો ને તેમના મુક્તનો મહિમા બરોબર સમજાતો નથી.” ।।૧૧૯।।