સંવત ૧૯૭૩ના વૈશાખ વદ-૦)) અમાસને રોજ મંદિરના દરવાજાના એ જ મેડા ઉપર સિનોગરાના મિસ્ત્રી ડાહ્યાભાઈને બાપાશ્રીએ કહ્યું જે, “ડાહ્યાભાઈ! તૈયાર છો કે નહિ? ધામમાં તેડી જવા છે.”

ત્યારે ડાહ્યાભાઈ બોલ્યા જે, “બાપા, મારે ત્રણ વર્ષ રહેવાની ઇચ્છા છે તે રાખો તો બહુ સારું.”

પછી બાપાશ્રી બોલ્યા જે, “ત્રણ વર્ષે પરવારી રહેજો, પછી કહેશો તો નહિ રાખીએ. આજથી ત્રણ વર્ષે તમને તેડી જાશું. જો પરવાર્યા હોત તો તો હમણાં જ તેડી જાત, પણ તમે પરવાર્યા નથી એટલે માયામાંથી આસક્તિ તોડી નથી, તેથી તમને ત્રણ વર્ષની અવધિએ રાખીએ છીએ, પણ જો ત્રણ વર્ષે વાસના નહિ ટાળો તો અમે તમને પછી રહેવા દઈશું નહિ.”

ત્યારે તે બોલ્યા જે, “ત્રણ વર્ષે પરવારીશ, પછી ભલે તેડી જાજો.”

એમ આયુષ્ય વિના ત્રણ વર્ષ રાખીને બાપાશ્રી એમને તેડી ગયા. ।।૧૮૧।।