સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૩ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “બે હરિભક્તો શ્રોતા અને વક્તા વગડામાં સમાગમ કરવા ગયા. ત્યાં બેયના દેહ પડી ગયા. તેમની ખબર તેમની સ્ત્રીઓને પડી. પછી તે ગઈ, પણ બંનેનાં હાડકાં ભેળાં હતાં. પછી શ્રોતાની સ્ત્રી કહે, ‘આપણે ઓળખીશું કેમ?’ પછી વક્તાની સ્ત્રીએ કહ્યું કે, ‘તારો પતિ શ્રોતા હતો ને મારો પતિ વક્તા હતો. તે મારા પતિનાં હાડકાં ગળી ગયાં હશે, અને તારો પતિ શ્રોતા હતો તેનાં હાડકાંમાં સાર પડી ગયા હશે.’ પછી ઓળખી કાઢ્યાં; તેમ મહારાજ અને મુક્તને ઓળખવા.”

“એક નિશાન જે શ્રીજીમહારાજની મૂર્તિ તે રાખવી. ત્યાગી ત્યાગ કરીને નીકળ્યો અને ત્યાગીનો ધર્મ ન પાળે તે સતી મટીને કૂત્તી કહાવે, એવું થયું. સ્વામી અક્ષરજીવનદાસજીને દેહ પડી જાય એવી ચૂંક આવી ત્યારે બીજા સાધુ કહે જે, ‘ભુજ લઈ જઈએ.’ ત્યારે સ્વામી કહે જે, ‘ભુજ તમારા બાપનું છે?’ માટે ત્યાગી થયા કેડે ઘર સંભારવાનો સંકલ્પ ન કરવો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું જે, “ગંગાજીને તમે પવિત્ર કરો કે ગંગાજી તમને પવિત્ર કરે?”

ત્યારે સ્વામીએ કહ્યું જે, “મહારાજ અને સંત ગંગાજીને પવિત્ર કરે.” ।।૨૧૮।।