સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૬ને રોજ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “અમારા બ્રહ્મચારી નિર્ગુણાનંદજીને બહુ હરકત કરવાનો સાધુને ઈરાદો હતો. તેમાં દેવરાજભાઈ, ખીમજીભાઈ પણ ભળ્યા હતા, પણ બ્રહ્મચારીને અમે મૂર્તિમાં લઈ લીધા અને સુખિયા થઈ ગયા; એવા બ્રહ્મચારી બેય દેશમાં નથી.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીને કહ્યું કે, “તમને તો ખૂબ સાંભરતા હશે? અમને પણ ખૂબ સાંભરે છે. સાજું બ્રહ્માંડ ફરી આવે તોપણ એવા પુરુષ ક્યાંય ન મળે. વાતોના ધડાકા કરતાં આવે; કોઈની પરવા રાખતા નહિ. હવે એ ગુણ આ પુરાણી કેશવપ્રિયદાસજીમાં આવે એવો સંકલ્પ કરીએ છીએ, જેથી કચ્છના હરિજનો સુખી રહે.”

પછી બોલ્યા જે, “જેને જડ-ચૈતન્યનો સંસર્ગ ન હોય અને ભગવાનના અખંડ સંબંધવાળા હોય એવા હોય તે ગુરુ કહેવાય; માટે એવાને ગુરુ કરવા, પણ ગુરુનાં લક્ષણ બહાર જાય એ ગુરુ શાનો? સનાતન હોય તે ગુરુ. તે સનાતન એટલે અનાદિ જે ધામમાંથી આવેલા હોય તે જાણવા. અને સંત એટલે સંતનાં લક્ષણે યુક્ત હોય તે જાણવા. આજ સત્સંગમાં ભગવાન બિરાજે છે, પણ પાપી અને અધર્મી છે તેના મતે નથી. તે તો અદૃશ્ય થયા જાણે છે, કેમ જે સત્સંગની શૈલી જાણતા નથી તેથી એમ સમજે છે જે ભગવાન અંતર્ધાન થયા છે. અમને તો એમ જણાય છે જે એવું સમજનારા સાધુ શું કરવા થયા હશે? મૂંડાવા? અને એવા વચ્ચે આવે તે ગુરુ ન જાણવા. એવાનો જોગ થયો હોય તો તે મોક્ષમાર્ગમાં મોટું વિઘ્ન થયું જાણવું. તેવાના જોગથી જુદા પડી જાવું અને તેનો ત્યાગ કરવો. જેને પ્રત્યક્ષ ભગવાન મળ્યા હોય તે તો પાંચ વખત માનસી પૂજા કરે, ધ્યાન કરે, માળા ફેરવે.” ।।૨૨૧।।