સંવત ૧૯૮૧ના વૈશાખ વદ-૧૧ને રોજ સવારે બાપાશ્રી સર્વે સંત હરિજનોએ સહિત છત્રીએ પધાર્યા. ત્યાં વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહિત પારાયણ કરાવી અને તેની સમાપ્તિ થઈ. પછી છત્રી ઉપર મૂર્તિ પધરાવીને તે છત્રીના પરથાર ઉપર બાપાશ્રી બિરાજમાન થયા. પછી સૌ સંત-હરિજનોએ બાપાશ્રીની ચંદન-પુષ્પે કરીને પૂજા કરી અને સર્વે બેઠા. પછી પુરાણી ધર્મકિશોરદાસજીએ વચનામૃતના પ્રશ્ન લખી સ્વામી ઈશ્વરચરણદાસજીને આપ્યા.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ બાપાશ્રીને કહ્યું કે, “પુરાણી આપને પ્રશ્ન પૂછે છે.”

ત્યારે બાપાશ્રી કહે કે, “કાલે પૂછજો. આજ તો વખત થઈ ગયો છે, માટે મંદિરમાં ચાલો.”

પછી સર્વે મંદિરમાં આવ્યા.

પછી બીજે દિવસે એટલે વદ-૧૨ને રોજ સાંજના બાપાશ્રી સર્વે સંત-હરિજનોને સાથે લઈને લખાઈવાડીએ પધાર્યા. ત્યાં નાહીને માનસી પૂજા કરી અને જાંબુડાના વૃક્ષ નીચે સભા કરીને બેઠા. પછી સર્વેએ બાપાશ્રીની ચંદન-પુષ્પહાર વડે પૂજા કરી અને બાપાશ્રીએ પણ સર્વેની પૂજા કરી અને આશીર્વાદ આપ્યા પછી સૌ સંત-હરિજનો ઊઠવાને તૈયાર થયા.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ ‘સત્પુરુષ વાકયં ન ચલતિ ધર્મ’ એમ કહીને કહ્યું કે, “બાપા, ગઈ કાલે પૂછેલા પ્રશ્નના ઉત્તર આજ કરવાનું આપે કહ્યું હતું તે ઉત્તર કરવા કૃપાવંત થશોજી.”

પછી બાપાશ્રી ઘડીકવાર વિચારીને બોલ્યા જે, “આજ તો મહારાજ કૃપાસાધ્ય છે; પૂછો.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “આ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાની પારાયણ કરે તો શું ફળ થાય?”

ત્યારે બાપાશ્રી કૃપા કરીને બોલ્યા જે, “ધર્મ, અર્થ, કામ ને મોક્ષ એ ચારે પુરુષાર્થની સિદ્ધિને પામે અને પારાયણ કરાવનાર પારાયણ કરાવીને તે પારાયણને અંતે નહાતા હોય તે પાણીમાં મહિમાએ સહિત જે નહાય અથવા તે પાણી માથે ચઢાવે તેનાં પંચ મહાપાપ બળી જાય.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “કેટલી પારાયણ વાંચવાથી આત્મામાં અખંડ મૂર્તિ દેખાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “પાંચ પારાયણે અને આજ્ઞા યથાર્થ પાળીને દિવસ દિવસ પ્રત્યે પાઠ કરે તો તેનું આત્યંતિક કલ્યાણ થાય.” ।।૨૨૫।।