સંવત ૧૯૬૩ના વૈશાખ સુદ-૧૧ને રોજ સવારે સભામાં લોયાનું ૩જું વચનામૃત વંચાતુ હતું, તેમાં માહાત્મ્યજ્ઞાને સહિત નિશ્ચયવાળા હરિજનોનાં નામ આવ્યાં.

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એ હરિજનોએ શું શું કર્યું હશે તે કહો.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજ અરેરા ગામમાં પધાર્યા હતા ત્યાંથી ગલુજીને કહાવી મોકલ્યું જે, ‘ખાવા બેઠા હોય તે પડ્યું મૂકીને ધન, ધાન્ય, માણસ, પશુ, સર્વસ્વ લઈને અહીં આવો.’ તે સાંભળીને પોતાની માતુશ્રી માંદાં હતાં તેમને મૂકીને બીજું બધું લઈને રાત્રિએ ગયા. એવા વચનમાં રહેતા. વળી તેમને ઘેર શ્રીજીમહારાજ સંતોએ સહિત પધાર્યા હતા તે સમયે એમની માતુશ્રીએ દેહ મેલ્યો. તેમને ઊંચાં બાંધી રાખીને બે દિવસ શ્રીજીમહારાજને ને સંતોને રાખ્યા ને સેવા કરી; પણ સૂતકનો સંશય થયો નહિ. એવો દિવ્યભાવ હતો.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “ગલુજી પાસે સર્વસ્વ મંગાવેલું તે શ્રીજીમહારાજે બધું રાખ્યું કે કેમ કર્યું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “ગલુજીને ઘેર એ જ રાત્રિએ શત્રુ આવીને સર્વસ્વ લૂંટી જવાના હતા અને ગલુજીને તથા તેમનાં મનુષ્યોને મારી નાખવાના હતા; એટલા સારુ શ્રીજીમહારાજે મંગાવ્યું હતું. શત્રુઓ રાત્રે ગલુજીને ઘેર આવીને પાછા ગયા અને સવારમાં શ્રીજીમહારાજે ગલુજીને સર્વસ્વ પાછું આપીને ડડુસર મોકલ્યા. એવી રીતે મહારાજે પોતાના દૃઢ નિશ્ચયવાળા ને વિશ્વાસુ ભક્તની રક્ષા કરી.” ।।૫૫।।