સંવત ૧૯૬૭ના ફાગણ વદ-૮ને રોજ રાત્રિએ સભામાં સ્વામી ઈશ્વરચરણ-દાસજીએ પૂછ્યું જે, “શ્રી ગોપાળાનંદ સ્વામીની વાતોમાં ચાર પ્રકારના મુક્તના ભેદ કહ્યા છે તે કેવી રીતે સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “એ ભેદ સાધનદશાવાળા મુક્તની સ્થિતિના છે. જે શ્રીજીમહારાજની મૂર્તિને જ દેખે અને પોતાની પણ સ્મૃતિ ન રહે તે ઉત્તમ ભેદ છે; અને જે પોતાની સ્મૃતિએ સહિત મૂર્તિ દેખે તે બીજો ભેદ છે; અને જે મહારાજને, પોતાને ને અક્ષરધામને દેખે તે ત્રીજો ભેદ છે; અને મહારાજને, પોતાને, ધામને અને અનંત મુક્તને દેખે તે ચોથો ભેદ છે. એમ સાધનદશાવાળાની સ્થિતિ કહી છે. અને અક્ષરધામમાં કહ્યા છે તે જ્યાં મૂર્તિ ત્યાં અક્ષરધામ કહ્યું છે; માટે અહીંની ને અક્ષરધામની એકતા કહી છે.”

પછી વળી સ્વામીએ પૂછ્યું જે, “અમદાવાદના ૬ઠ્ઠા વચનામૃતમાં અક્ષરધામને વિષે મોહોલ, બાગ, બગીચા કહ્યા છે તે કેવી રીતે સમજવા?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ પૃથ્વીને વિષે જે જે ગામોમાં જેને જેને ઘેર શ્રીજીમહારાજ વિરાજ્યા તે સર્વે શ્રીજીમહારાજને સંબંધે કરીને અક્ષરધામ તુલ્ય દિવ્ય જાણવાં. માટે આ લોકને વિષે શ્રીજીમહારાજ જેને ઘેર વિરાજ્યા તે મોહોલ જાણવા. અને જેના ગોખમાં, ઝરૂખામાં, બાગમાં, બગીચામાં જ્યાં જ્યાં વિરાજ્યા તે સર્વે અક્ષરધામ તુલ્ય જાણવાં. એ સર્વે આ પૃથ્વીનાં વર્ણન કર્યાં છે, પણ અક્ષરધામમાં નથી. માટે શ્રીજીમહારાજના સંબંધે કરીને તે સ્થાનોને અક્ષરધામ સમજવાં.” ।।૯૩।।