સંવત ૧૯૬૮ના ભાદરવા વદ-૨ને રોજ સભામાં પ્રથમ પ્રકરણનું ૨૪મું વચનામૃત વંચાતું હતું. તેમાં જેટલો શ્રીજીમહારાજનો મહિમા જાણે તેના હૃદયમાં તેટલો પ્રકાશ થાય છે ને તેટલો નાદ સંભળાય છે એમ આવ્યું.

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ અહીં લાય લાગે અથવા પાણીનું પૂર આવે તેનો નાદ સંભળાય છે, તેમ શ્રીજીમહારાજની મૂર્તિના તેજનો નાદ થાય છે. તે નાદ જેને મૂર્તિનો સાક્ષાત્કાર થયો હોય તે સાંભળે, પણ જેમ બહેરો નથી સાંભળતો તેમ માયારૂપી પડદા જેને હોય તેનાથી સંભળાય નહિ. તમે આ વખતે દર્શન કરો છો તે તમારાં મોટાં ભાગ્ય છે. ક્યાં તમે! ને ક્યાં અમે! આ તો કીડી-કુંજરનો મેળાપ છે. અમે તમને અંતર્યામીપણે ખેંચ્યા છે ત્યારે આ જોગમાં આવ્યા છો. આ જોગ એવો છે જે ઇંદ્રિયોની વૃત્તિ ઘસાઈને બુઠ્ઠી થઈ જાય છે; એવું ખરેખરું નૈમિષારણ્ય ક્ષેત્ર આ છે. આ ઠેકાણે જપ, તપ, માળા, માનસી પૂજા જે કરે તે થાય એવું છે. આ સભા નૈમિષારણ્ય ક્ષેત્ર છે. માટે અંતર્દૃષ્ટિ કરીને મૂર્તિમાં જોડાવું.” ।।૧૦૧।।