સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૭ની રાત્રિએ બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેમ નદી, તળાવ, સમુદ્ર તે પાણીને રહેવાનાં પાત્ર છે તેમાં સમુદ્ર શ્રેષ્ઠ પાત્ર છે. માટે સમુદ્ર જેવો પાત્ર થાય ત્યારે મહારાજની મૂર્તિ દેખાઈ આવે. જેમ વીજળીનો સંચો ચાલે છે ને તેમાંથી ધુમાડો ચાલે છે તેના દીવા થઈને પ્રકાશ કરે છે, ને જ્યારે સંચો બંધ થઈ જાય છે ત્યારે દીવાનો પ્રકાશ પાછો વળી જાય છે. એ દૃષ્ટાંતનું સિદ્ધાંત એ છે જે સંચાને ઠેકાણે શ્રીમહાપ્રભુજીની મૂર્તિ છે અને ધુમાડાને ઠેકાણે શ્રીજીમહારાજનું સુખ છે ને દીવાને ઠેકાણે મુક્ત છે. જેમ દીવો પ્રકાશ કરી આપે છે તેમ મુક્ત મહારાજનું સુખ લઈને જીવોને આપે છે. મુક્ત વિના પરબારું મહાપ્રભુજીનું સુખ કોટિ સાધને પણ મળતું નથી. તે પણ પાત્ર પ્રમાણે મળે છે. અને જો ગ્રહણ કરનાર પાત્ર ન હોય તો જેમ દીવાનો પ્રકાશ પાછો સંચામાં વળી જાય છે તેમ પાછું મહારાજ પાસે જતું રહે છે.”

“વળી બીજું દૃષ્ટાંતઃ જેમ વીજળીનો ઝબકારો પૃથ્વી ઉપર આવીને પાછો આકાશમાં મેઘની ઘટામાં જતો રહે છે તેમ. માટે મુક્ત દ્વારે જ મહારાજ સુખ આપે છે ને પોતે તો અકર્તા રહે છે; તોપણ મહારાજની મરજી વિના મહારાજનાં ગુણ કે જ્ઞાન કે મૂર્તિ કોઈ મુક્તથી આપી શકાય નહિ. એ તો શ્રીજીમહારાજે સંકલ્પ કરીને જે મુક્તને મૂક્યા હોય તેને પોતાના સુખની કૂંચી આપી હોય તે મુક્ત શ્રીજીમહારાજના જેટલું કામ કરે. શા માટે જે શ્રીજીમહારાજનો સંકલ્પ છે અને શ્રીજીમહારાજની વતી આવ્યા છે અને એ મોક્ષ કરવારૂપી મૂળ સંકલ્પ છે. મૂળઅક્ષરો પાસે સૃષ્ટિ કરાવીને જીવોને દેહ ધરાવીને આવા મુક્તનો યોગ થાય ને મહારાજ પાસે આવે માટે સૃષ્ટિ કરાવવી એ બીજો સંકલ્પ છે. તોપણ પોતે અકર્તા રહે છે ને કલ્યાણકર્તા મુક્તને મુખ્ય રાખે છે.”

“અને જીવકોટિને કર્મફળ આપવાં તથા ઈશ્વરકોટિ, બ્રહ્મકોટિ ને અક્ષરકોટિ એ સર્વેને ઐશ્વર્ય આપવાં તે પોતાના તેજ દ્વારે કરે છે ને ઉત્પત્ત્યાદિક ક્રિયા તે મૂળઅક્ષરો દ્વારે કરાવે છે. અને તે અક્ષરો બ્રહ્મને પ્રેરણા કરે છે ને સ્થિતિરૂપ ક્રિયા વાસુદેવબ્રહ્મ પાસે કરાવે છે અને ઉત્પત્તિરૂપ ક્રિયા તે મૂળપુરુષ દ્વારે કરાવે છે અને પ્રલયરૂપ ક્રિયા તે મહાકાળ દ્વારે કરાવે છે. એવી રીતે કરાવે છે, પણ પોતાને માથે લેતા નથી. જેમ કોઈ મનુષ્ય મરે ત્યારે લોક કહે જે, ‘તાવ આવ્યો હતો કે હરકોઈ રોગથી મૂઓ’ પણ ‘ભગવાને માર્યો’ એમ કોઈ કહેતા નથી. માટે મહારાજ માથે લેતા નથી. તેમ જ કલ્યાણ તે મુક્ત પાસે કરાવે છે ને પોતે તો પોતાના મુક્તોને પોતાની મૂર્તિનું કેવળ સુખ જ આપે છે.”

“માટે કલ્યાણને અર્થે મુક્તનો ખપ કરવો જઈએ. અને ધ્યાન પણ મોટાની સહાય વિના સિદ્ધ થાતું નથી. મોટા પ્રસન્ન થઈને સહાય કરે તો સહેજે મૂર્તિનું સુખ આપી દે. ને મોટાનો સાચો વિશ્વાસ ને સંપૂર્ણ મહિમા જાણ્યો હોય તો જ્યાં સંભારે ત્યાં પોતે પ્રગટ આવીને તેનું કામ કરે છે. અને જે ચાલોચાલ સમાગમ કરે તેને મોટાનું સુખ વાતચીતમાં આવે નહિ. જેમ વીજળીનું દૃષ્ટાંત દીધું તેમ. માટે પાત્ર થાવું. તે પાત્ર ક્યારે થવાય? તો પોતાનું મનગમતું સર્વે મૂકી દઈને જેમ મોટા કહે તેમ સરળપણે વર્તે તો તરત પાત્ર થાય. જેમ આંબા આદિક ઝાડને પાણી પાઈએ છીએ તો તે કેરી આદિક ફળને આપે છે, તેમ મોટાની સેવા ને સમાગમ કરવાથી મહારાજની મૂર્તિરૂપી ફળ પ્રાપ્ત થાય છે. મોટાનો સમાગમ કરવા માંદા આવે ને સાજા આવે તેમાં માંદાને ફળ વધારે મળે છે; કેમ જે એમાં સત્તા નથી તોપણ આવે છે, માટે મોટા બહુ રાજી થાય છે. ત્યાં દૃષ્ટાંતઃ જેમ કરોડોપતિ હજાર રૂપિયા આપે ને ગરીબ એક રૂપિયો આપે તે સરખું કહેવાય તેમ.” ।।૧૩।।