સંવત ૧૯૭૦ના ફાગણ સુદ-૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “જેને કારણ મૂર્તિનું ધ્યાન હોય તેનાથી સંતની સેવા થાય છે; કેમ જે તેણે તો આ સંતને મહારાજના દીકરા જાણ્યા છે, તેથી સંત રાજી થાય એવી સેવા કરે છે. જેને કાર્યમાં તાન હોય તેને તો આ લોકમાં આબરૂ વધારવાનું તથા છતું થવાનું તાન હોય ને સૌ વખાણે તે સારુ તપ કરે, વૈરાગ્ય રાખે, ધર્મ પાળે, સેવા કરે, બીજા પાસે કરાવે; પણ તેને કારણ હાથ આવે નહિ ને આ સંતનો મહિમા પણ સમજાય નહિ. જો આવી બ્રહ્મસભામાં બેસીને વિશ્વાસ રાખે ને જ્ઞાન સાંભળે તો કારણ અને કાર્ય બેય ઓળખાય ને સાચા-ખોટા વેપારની ખબર પડે.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “અનાદિમુક્તના ગુણ મુમુક્ષુમાં કેમ સમજે તો આવે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્તને વિષે દેવની બુદ્ધિ રાખે ને તેમની અનુવૃત્તિમાં વર્તે અને પંચ વર્તમાન યથાર્થ પાળે તો અનાદિમુક્તના ગુણ એમાં આવે.” ।।૧૩૩।।