સંવત ૧૯૯૨ની સાલમાં સવારના પાંચ વાગે કરાંચીમાં લાલુભાઈને ઘેર બાપાશ્રી આદિ અનંત મુક્તો ઓસરીમાં તેજોમય ફરતા હતા એવાં દર્શન થયાં. પછી તેમણે દંડવત કર્યા ને તેમના દીકરા હરિલાલને કહ્યું જે, “તું સૌ હરિભક્તોને ખબર આપ જે અમારે ઘેર બાપાશ્રી આદિક મુક્તો નવીન રૂપે દર્શન આપે છે તે જેને દર્શન કરવાં હોય તે આવો.” પછી સૌ આવ્યા ને પગે લાગીને નવીન સ્વરૂપ જોઈ રહ્યા અને લાલુભાઈ તો પલાંઠી વાળીને બાપાશ્રીના સામા બેઠા. તેમને બાપાશ્રીએ દિવ્ય હાર પહેરાવ્યો તે હારમાંથી બહુ સુગંધી આવવા માંડી.

પછી બાપાશ્રી કહે જે, “લાલુભાઈ! અમને પાણી પાઓ.” ત્યારે લાલુભાઈએ તેમના ઘરનાં માણસને કહ્યું જે, “પાણી લાવો.” ત્યારે બાપાશ્રી કહે જે, “આ સામા લોટામાં છે તે આપો.” પછી બાપાશ્રીએ જળ પીધું અને કહે જે, “ખુરશી મંગાવો તો બેસીએ.” પછી વળી કહ્યું જે, “અમને ઊંઘ બહુ આવે છે તે આસન પાથરી દો; સૂવું છે.” એમ કહીને જમીન ઉપર પાથર્યા વિના સૂઈ ગયા.

પછી લાલુભાઈએ કહ્યું જે, “આમ ને આમ સૌને દર્શન આપો, હું પાથરવા આસન લાવું છું.” એમ કહી આસન લેવા ગયા. ત્યાં બાપાશ્રી અદૃશ્ય થઈ ગયા. વળી એક સમયે લાલુભાઈની દીકરી મેડેથી ઊતરતાં પગથિયું ભૂલવાથી પડી ગયાં. તેને બાપાશ્રીની છબીએ લાંબો હાથ કરીને ઝાલી લીધી. તેણે લાલુભાઈને વાત કરી જે, “આ મૂર્તિએ લાંબો હાથ કરીને મને ઝાલી લીધી.” ।।૧૨૧।।