સંવત ૧૯૬૨ની સાલમાં ગામ સરસપુરમાં પટેલ જેઠાભાઈ તથા ઈશ્વરદાસની ફઈ પાર્વતીબાઈને બાપાશ્રી તેડવા આવ્યા. તે સમે બાઈ બોલ્યાં જે, “બાપા! તમે મને અડશો નહિ. મને સંગ્રહણીનો રોગ છે તેથી ખાધેલું ને પાણી પેટમાં ટકતું નથી તેથી બોળે છું.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આ ખાટલો ને ગોદડું બધુંય કાઢી નાખીને લીંપાવો ને બીજો ખાટલો ને ગોદડાં પાથરો અને જેટલી ચીજો જમવી હોય તેટલી આજ આખો દિવસ જમો અને પાણી પીઓ, પણ સાંજ સુધીમાં લઘુ તથા દિશાએ જવાનું નહિ થાય.” પછી સર્વ વસ્તુઓ આખો દિવસ જમ્યાં ને પાણી પીધું અને બાપાશ્રીએ પાટ ઉપર બેઠેલા એવાં સવારથી સાંજ સુધી દર્શન આપ્યાં ને રાત્રિ પડી એટલે શ્રીજીમહારાજ તથા ઘણાય મુક્તનાં દર્શન થયાં. તેવી રીતે બીજા ઘણાક મનુષ્યને પણ બાપાશ્રીનાં દર્શન થયેલાં. એ રીતે એ બાઈને દેહ મૂકતી વખતે ચમત્કાર જણાવી તેડી ગયા. ।।૩૦।।