એક વખતે જેતલપુરમાં સાધુ પુરુષોત્તમપ્રિયદાસજીને કૂતરું કરડ્યું હતું, તેની પીડા બહુ થતી. તેમને સ્વામી ઈશ્વરચરણદાસજી મહારાજની ને મોટાની વાતો કરી શાંતિ પમાડતા.પછી એક દિવસ સ્વામી અમદાવાદ આવ્યા તેથી તે સાધુ ઉદાસ થઈ ગયા. તેથી પછી બાપાશ્રીએ દર્શન આપીને કહ્યું જે, “તમે ઉદાસ થઈ ગયા તેથી અમે પાણી પીવા પણ ન રહ્યા ને તરત આવ્યા. અમે તમારા ભેળા જ છીએ, છેટે નથી અને સ્વામી ઈશ્વરચરણદાસજી બે દિવસ પછી આવશે; કેમ જે શહેરમાં પાકી છે તેથી જે વસ્તુ લેવા ગયા છે તે મળશે નહિ. તમે આંબવા (પ્રબોળિયા)નાં પાંદડાં વાટીને બાંધજો ને ત્રીજે દિવસે પાટો છોડજો. એવી રીતે ત્રણ પાટા બાંધવા પડશે.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. અને પછી ત્રણ પાટે મટી ગયું. ।।૩૮।।