ગામ ધરમપુરના દેવજી વરમોળાને તાવ આવ્યો. તે ત્રીજે દિવસે ખાટલામાંથી બેઠો થઈ પગે લાગવા મંડ્યો અને તેમના મોટાભાઈ ભાવજીભાઈને કહ્યું જે, “આ મહારાજ અને બાપાશ્રી અને સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંતમંડળ આવ્યાં છે તેમનાં દર્શન કરો. અને હજી સવાર છે માટે રસોઈ કરી મહારાજને થાળ જમાડો. બાપાશ્રી મને કહે છે કે, ‘દશ વાગે મહારાજની મૂર્તિના સુખે સુખિયો કરવો છે માટે ઉતાવળ કરો.’ તમે બધાય મહારાજ તથા બાપાશ્રીને સંભારજો અને આવા મોટા સંત સાથે હેત રાખજો.” એમ કહીને ઊંડા ઊતરી ગયા. પછી જ્યારે દશ વાગ્યા ત્યારે સર્વેને જય સ્વામિનારાયણ કહી દેહ મૂકી દીધો. ।।૧૧૮।।