એક સમયે બાપાશ્રી દહીંસરા કેશરાભાઈને ઘેર પધાર્યા. ત્યાં કેશરાભાઈએ કહ્યું જે, “બાપા, આપની ગગીનું સગપણ ઝીણોભાઈ આ ગામમાં કરી ગયા છે. તેનું તો અમે પાણી પણ પીતા નથી, એવા આચારભ્રષ્ટ છે.” ત્યારે બાપાશ્રીએ કહ્યું જે, “આપણે સારે ઠેકાણે આવતી કાલે સગપણ કરીશું તે તમે પરમ દિવસે જાણશો.” એમ કહીને સવારે વૃષપુર પધાર્યા ને તે દીકરીને માતા નીકળ્યાં. તેની પાસે બાપાશ્રી તથા ગામના હરિભક્તો તથા નારાયણપુરના જાદવજીભાઈ તથા પ્રેમજીભાઈ આદિ ફરતાં ગામોના કેટલાક હરિભક્તો રાત્રે બેઠા હતા.

તે વખતે બાપાશ્રીએ તે દીકરીને કહ્યું જે, “તારે ધામમાં જાવું છે કે મટાડવું છે?” ત્યારે તે બોલી જે, “ઠેઠ મહારાજ પાસે મૂકો તો જાવું છે.” પછી તેને કહ્યું જે, “અમારા સામું જોઈ રહે.” પછી તે દીકરી બાપાશ્રી સામું જોઈ રહી અને દેહ પડી ગયો ને ધામમાં મૂકી દીધી. અને બે દીકરાઓને પણ માતા નીકળ્યાં હતાં તે મેડા ઉપર સૂતા હતા. તેમને પૂછ્યું જે, “તમારી બહેનને તો ધામમાં મૂકી દીધી ને તમારે જાવું હોય તો વગર સાધને ઠેઠ મૂકી દઈએ.” ત્યારે તે દીકરા બોલ્યા જે, “કલ્યાણ તો તમે મળ્યા ત્યારથી થઈ જ રહ્યું છે, પણ અમારે આપની સેવા કરવાની ઇચ્છા છે.” પછી તેમને રહેવા દીધા. ।।૫૭।।