રાજકોટના મિસ્ત્રી કલ્યાણજીભાઈની દીકરીને જન વળગ્યો હતો તે ઘણા ઉપાયથી ન ગયો. પછી બાપાશ્રી મુળીએ સમૈયો કરવા આવ્યા હતા, ત્યાં એ દીકરીને લઈને આવતાં રેલમાં એ બાઈને બાપાશ્રીનાં શ્વેત વસ્ત્ર પહેરેલાં એવાં તેજોમય દર્શન થયાં. પછી તે ધ્રૂજવા લાગી ને તેમાં જન હતો તે બોલ્યો જે, “આ મને બાળે છે.” એમ બોલતાં બોલતાં મંદિરમાં આવ્યા ને ઉતારો કરીને ઠાકોરજીનાં દર્શન કર્યા.પછી કલ્યાણજીએ બાપાશ્રીને આસને આવીને પ્રાર્થના કરી જે, “મારી દીકરીને જન વળગ્યો છે તેથી હું બહુ દુખિયો છું માટે કૃપા કરીને એને કાઢો.” પછી બાપાશ્રીએ કહ્યું જે, “આ સભાની ચરણરજ લઈ જઈને એ બાઈને માથે નાખજો.” પછી તે બાઈને માથે નાખી એટલે તરત જન ભાગી ગયો. ।।૭૨।।