સંવત ૧૯૬૯ના વૈશાખ સુદ-૧૫ને રોજ સાંજે સભામાં સરસપુરના જેઠાભાઈએ પૂછ્યું જે, “આજ ભગવાન ક્યાં હશે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “આ બેઠા મૂર્તિમાન!”

પછી કહ્યું જે, “મૂર્તિ તો બેઠી રહી છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “હાલવા ખપે તે જ બેઠા છે ને તે જ પ્રત્યક્ષ છે. જે અક્ષરધામમાં છે એ જ છે. આ સભામાં પ્રત્યક્ષ શ્રીજીમહારાજ અને મુક્ત છે; તેમાં ખોટું કહેતા હોઈએ તો સમ છે. મૃત્યુ આડી એક ઘડી રહી હોય ને જો ‘આ પ્રતિમા તે જ સાક્ષાત્ ભગવાન છે; પણ ધાતુ-પાષાણ નથી ને આ સભા દિવ્ય છે’ એવું સમજાય તો શ્રીજીમહારાજ હડેડાટ તેડી જાય છે. માટે પ્રતિમાને વિષે ને સાધુને વિષે દિવ્યભાવ લાવવો; તો મોક્ષ કરે. પણ એકલાં જ સાધને કરીને મોક્ષ ઇચ્છે તે થવો કઠણ છે. જેમ એક કણબીને ગાડું ખૂંત્યું તે બધાયને કાઢી મૂકીને ગાડું કાઢવા ગયો તે કાંઈ નીકળે? તેમ આવા મુક્તને વિષે કોઈક કાંઈક દોષ પરઠે તો તે એકલો રહ્યો તે એકલો શું કરે? માટે સર્વેને દિવ્ય જાણવા તો મોક્ષ થાય.” ।।૧૨૫।।