સંવત ૧૯૬૨ના વૈશાખ વદિ-૧૪ને રોજ બપોરે સભામાં બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આજ તમને મળ્યા છે તે વ્યતિરેક મૂર્તિ છે ને તે થકી આત્યંતિક કલ્યાણ થાય છે, પણ અન્વય થકી થાતું નથી.”

પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું જે, “મોટાનો વિશ્વાસ તો હોય, પણ વ્યતિરેક મૂર્તિનો મહિમા જાણી શકે નહિ તેને મોટા શ્રીજીમહારાજની મૂર્તિને સમીપે લઈ જાય કે નહિ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોટા સાથે જેણે મન બાંધ્યું હોય ને આત્મબુદ્ધિ કરી હોય તો મોટા તેને મહારાજના સુખમાં લઈ જાય છે.”

પછી વળી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “મુક્તને જોગે કરીને મુક્ત થયેલાનો જે જોગ કરે તેનું આત્યંતિક કલ્યાણ થાય કે કેમ?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેવું અનાદિમુક્તના જોગવાળાનું કલ્યાણ થાય છે તેવું જ તેના જોગવાળાનું કલ્યાણ થાય છે.”

ત્યારે વળી સ્વામીએ પૂછ્યું જે, “મુક્તના જોગે મુક્ત થાય છે તેને સુખ મહારાજ પોતે આપે છે કે મુક્ત અપાવે છે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “શ્રીજીમહારાજે જીવો ઉપર દયા કરીને જે અનાદિમુક્તને પૃથ્વી ઉપર મોકલ્યા હોય તે મુક્તને વશ થઈને મહારાજ પોતે સુખ આપે છે.” ।।૩૨।।