સંવત ૧૯૭૩ના જેઠ વદ-૧૧ને રોજ બપોરે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “આ જોગ હવે ઝાઝા દિવસ નહિ રહે; કેમ જે અમને પંચોતેર વર્ષ પૂરાં થયાં.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, આપ સંવત ૧૯૦૧ની સાલમાં પ્રગટ થયા છો, માટે બે વર્ષ બાકી છે.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “૭૩ વર્ષના અધિક માસ ચોવીસ ગણીને અમે બરાબર પોણોસો વર્ષ કહ્યાં છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “બાપા, અધિક માસ તો ન ગણાય.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારે અહીં વેપારી પુરુષોત્તમ માસનું વ્યાજ ગણી લે છે, માટે એ માસ બધા લેખો તો પૂરાં પોણો સો થાય છે.”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “વેપારી તો લોભિયા હોય તે વ્યાજ લે, પણ આપને એમ ગણીને પૂરાં કરવાં ન જોઈએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “બહુ સારું મહારાજ! એમ નહિ ગણીએ.”

પછી વાત કરી જે, “તમે સર્વે આજ્ઞા યથાર્થ પાળજો. આજ્ઞા છે તે આત્મસત્તારૂપનું કામ કરે છે. માટે નાનાં-મોટાં વચન શ્રીજીમહારાજનાં યથાર્થ પાળવાં, પણ તેમાં ફેર પડવા દેવો નહિ. જો ફેર પડવા દે તો તેને બીજો જન્મ ધરીને પણ પાળ્યા વિના છૂટકો નથી. જે જડ-ચૈતન્ય માયાનો ત્યાગ યથાર્થ નહિ કરે તે તો બળેલો કોયલો છે ને તે અમારો નથી ને એના ધણી અમે નહિ થઈએ. અમારે અહીં જે ધર્મમાં કુશળ ન હોય તેના કાગળો આવે તે અમે વાંચતા કે વંચાવતા નથી ને જવાબ પણ લખતા નથી, એવો અમારે ધર્મ પાળવા-પળાવવાનો આગ્રહ છે.”

એમ વાત કરીને બોલ્યા જે, “જુઓને! આપણે રામપરામાં સંવત ૧૯૬૪ની સાલમાં કથા સાંભળવા ગયા હતા, ત્યારે એક હરિજન બહુ સારો હતો, પણ તેને નાનપણમાં બ્રહ્મચર્યવ્રતમાં ફેર પડ્યો હતો, તેનું તેણે પ્રાયશ્ચિત્ત માગ્યું. તેને પ્રાયશ્ચિત્ત કર્યા પહેલાં પાણી પણ ભરવા દીધું નહિ ને એની કાંઈ પણ સેવા દેહે કરીને અમે કરવા દીધી નહિ, એવી ચોખવટ અમે રાખીએ છીએ. તમે પણ જે અમારા જોગવાળા છો તે સર્વે એવી રીતે ધર્મ વિનાનો હોય તેની સેવા અંગીકાર કરશો નહિ. ને શિષ્ય હોય તો જુદો કરજો ને ગુરુ હોય તો પડતો મૂકજો, એ અમારી આજ્ઞા છે તે શિર ચઢાવજો તો અમે બહુ રાજી થઈશું ને તમને ઘણાક અધમ જીવોનો ઉદ્ધાર કરો એવા સમર્થ કરીશું ને જેવા અમે છીએ એવા જ કરીશું અને આપણ સર્વે મૂર્તિમાં ભેળા રહીને મૂર્તિનાં સુખ ભોગવશું.”

પછી સ્વામી ઘનશ્યામજીવનદાસજીએ પૂછ્યું જે, “અમને ‘યથાર્થ આજ્ઞા પાળો તો શ્રીજીમહારાજના સુખમાં આવશો’ એમ કહો છો તો અમે અધમ જીવને આજ્ઞા પળાવ્યા વિના એમ ને એમ શી રીતે મહારાજના સુખમાં લાવીશું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અધમ નરકે જવાનો હોય તે સંકલ્પે કરીને એનાં પાપ બળી જાય તેથી નરકે જવાનું બંધ થાય ને આ સત્સંગમાં આવે તે કલ્યાણ જાણવું. પછી એક-બે જન્મે કલ્યાણ થાય અને ખબડદાર થઈને મંડે તો એને એ દેહે કલ્યાણ થઈ જાય એમ ઉદ્ધાર કરો એવા કરવા છે.”

એમ કહીને બોલ્યા જે, “જેને જોઈએ તે આવો મોક્ષ માગવા.”

પછી સંતોએ કહ્યું જે, “આ અમે આવ્યા છીએ.”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “મોક્ષ થઈ ગયો છે અને જે નવા આવે છે તેનો પણ થઈ જાય છે.”

એમ કહીને જનોઈઓ પહેરાવીને સર્વે સંતોને વર આપ્યો જે, “આ અચળ જનોઈઓ અક્ષરધામ સુધી.”

ને પછી “સભાની માયાનો ક્ષય ને તમારી જય” એમ બોલ્યા.

બીજે દિવસે એટલે વદ-૧૨ને રોજ સર્વે સંતોને આજ્ઞા કરી જે, “આજ ગુજરાત તરફ જાઓ.”

એટલે સર્વે સંત ભુજ થઈને ગુજરાત તરફ આવ્યા. ।।૧૯૭।।