એક સમયે કરાંચીનાં સાંખ્યયોગી ભાણુબાઈને મંદવાડ થઈ ગયો. તે શ્રીજીમહારાજને ને બાપાશ્રીને બહુ સંભારતાં. તેમણે દેહ મૂકવાને દિવસે લીરૂબા આદિ બાઈઓને કહ્યું જે, “તમે સૌ આજ મારી પાસે રહેજો.” પછી દેહ મૂકવાને દિવસે શ્રીજીમહારાજ તથા બાપાશ્રી તથા અનંત સંતોનાં દર્શન થયાં એટલે પગે લાગવા મંડ્યાં. ત્યારે લીરૂબાએ કહ્યું જે, “શું થાય છે?” ત્યારે તે બોલ્યાં જે, “મહારાજ તથા બાપા અને સંત આવ્યા છે તે કહે છે કે તમને દશ વાગે તેડી જઈશું.” પછી બરાબર દશ વાગે સૌને જય સ્વામિનારાયણ કહી દેહ મૂકી મૂર્તિના સુખમાં ઊતરી ગયાં. તે બાઈએ દેહ મૂક્યા અગાઉ પોતાનું સર્વસ્વ શ્રીજીમહારાજનું છે એવું લખત કર્યું હતું. ।।૬૯।।