સંવત ૧૯૬૭ના ફાગણ વદ-૧૦ને રોજ સવારે સભામાં કારિયાણીનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં ભગવાનનો ભક્ત લટ-ભ્રમર ન્યાયે ભગવાનને આકારે થઈ જાય છે એમ આવ્યું.

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ પૂછ્યું જે, “એ તો શ્રી પુરુષોત્તમને સજાતિ થયા ત્યારે સ્વામી-સેવકપણું કેમ રહે?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેમ બાપને વિષે પુત્રને બાપપણાનો ભાવ રહે છે અને જેમ રાજાને વિષે રાણીને સ્વામીપણાનો ભાવ રહે છે, તેમ સ્વામી-સેવકપણું રહે છે. મહારાજનું આપ્યું સુખ ભોગવે છે માટે મહારાજ દાતા છે ને મુક્ત ભોક્તા છે, તેથી સ્વામી-સેવકપણું રહે છે. તે મધ્ય પ્રકરણના ૬૭મા વચનામૃતમાં કહ્યું છે જે, ‘મેં જેવા ભગવાનને જાણ્યા તેવો તો ભગવાને મને કર્યો છે અને વળી મારા જેવા તો અનંત છે.’ માટે શ્રી પુરુષોત્તમરૂપ થાય છે, તોપણ શ્રી પુરુષોત્તમ સર્વેને પર ને પર ભાસે છે. એ પ્રતાપ ને સામર્થી જોઈને સ્વામી-સેવકપણું અતિશય દૃઢ થાય છે. જેમ અગ્નિમાં કાષ્ઠ નાખીએ તે બળી જાય છે ત્યારે અગ્નિરૂપ થઈ જાય છે, પણ કાષ્ઠથી મૂળ અગ્નિ જુદો છે; તેમ મુક્ત પુરુષોત્તમરૂપ થઈ જાય છે, તોપણ પુરુષોત્તમમાં ને મુક્તમાં જુદાપણું રહે છે. જેમ જળમાં માછલાં રમે છે તેમ મહારાજની મૂર્તિમાં મુક્ત રમે છે ને નવાં નવાં સુખ લે છે, પણ પાર પામતા નથી.” ।।૯૬।।