એક સમયે બાપાશ્રી તથા સ્વામી વૃંદાવનદાસજી તથા સ્વામી ઈશ્વરચરણદાસજી આદિ સંત-હરિભક્તો કરાંચી પધાર્યા હતા. ત્યાં એક દાક્તર હતો. તેણે નીકળતી વખતે રોકવાનો આગ્રહ કર્યો. ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમારા દાક્તર નાગરદાસભાઈ વિરમગામમાં માંદા છે ત્યાં જવું છે.” તો પણ બહુ આગ્રહ કરીને રોક્યા તેથી રહ્યા. તે વખતે વિરમગામમાં નાગરદાસભાઈને બાપાશ્રી તથા સંતોનાં દર્શન થયાં તેથી બહુ આનંદ પામ્યા ને બોલ્યા જે, “બાપા! આપ કરાંચી હતા ને ત્યાંથી અહીં ક્યારે આવ્યા? આપે મને દર્શન આપીને સુખિયો કર્યો.” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અમે એક દાક્તરના રોકવાથી કરાંચી છીએ, પણ તમે બહુ સંભાર્યા તેથી દિવ્ય રૂપે દર્શન આપ્યાં.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।।૮૨।।