સંવત ૧૯૮૩ના કારતક સુદ-૧૧ને રોજ શ્રી નારાયણપુરના મંદિરમાં સભામાં પ્રથમ પ્રકરણનું ૧લું વચનામૃત વંચાતું હતું. તેમાં તીર્થક્ષેત્રની વાત આવી.

ત્યારે બાપાશ્રી ‘अन्य क्षेत्रे कृतं पापं’ એ શ્લોક બોલ્યા અને કહ્યું જે, “આ તીર્થક્ષેત્ર. અહીં આવીને જે મહારાજનો અને અનાદિમુક્તની સભાનો અવગુણ લે તે તીર્થક્ષેત્રનું પાપ છે તે વજ્રલેપ થાય, પછી તેનો ક્યાંય પત્તો લાગે નહિ. જેને આ વાતની ખબર ન હોય તે અવગુણ લે.”

“અ.મુ. સદ્‌. શ્રી ગોપાળાનંદ સ્વામી ઠેઠ મૂર્તિમાં ગતિ કરે, કરાવે, અને મૂર્તિમાં રમે; એવા મોટા તેમને મંદવાડ આવ્યો ત્યારે બે સાધુ બાવડાં ઝાલે તે ઉંબરો આવ્યો ત્યારે અટકી રહ્યા. ત્યારે સાધુ કહે, ‘સ્વામી! કેમ પગ ઉપાડતા નથી? વાતો તો ઠેઠ અક્ષરધામ અને તેથી પર મૂર્તિમાં રસબસ રહેવાની કરો છો, કેટલાયને મૂર્તિમાં મૂકી દો છો અને પગ તો ઊપડતો નથી.’ એમ બોલ્યા. પણ મોટા તો હજારો જીવોના આત્યંતિક કલ્યાણ માટે મંદવાડ ગ્રહણ કરે છે. સાજા હોય તો તુંબડી પણ હાથે ભરે, પણ કોઈને ભરવા ન દે. આ તો મંદવાડ ગ્રહણ કરીને સેવા અંગીકાર કરે છે. માટે મોટાના મંદવાડ એવા છે. પણ એ તો મૂર્તિમાં રસબસ રહેતા હોય તેની ખબર ન હોય, પણ મંદવાડ જણાવે ત્યારે એમ જ હોય. અમારે પણ મંદવાડનું આ વર્ષમાં એવું થયું છે. મોટા મંદવાડ ગ્રહણ ન કરે તો એમની સેવા ક્યાંથી મળે? એટલા સારુ આ મંદવાડ ગ્રહણ કર્યો છે. આ દેહ એવો જ છે, પણ મહિમા સમજાય તો કાંઈનાં કાંઈ કામ થઈ જાય. અમને ધનજીભાઈએ આગ્રહ કર્યો, પણ મંદવાડને લઈને ઘેર જવાણું નહિ.”

પછી સ્વામી ઈશ્વરચરણદાસજીએ કહ્યું જે, “આપને ક્યાં દેહ છે?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “સમજવાનું તો એમ જ છે. મહારાજ ને મોટા તો સદા દિવ્ય જ છે. શ્રીજીમહારાજે અમદાવાદની ચોરાસી કરી તે પ્રવૃત્તિને ટાળવા ઠેઠ ગણેશધોળકાની રાણ્યોમાં રહ્યા તે અધિક કે ઉત્સવ-સમૈયા કરવા તે અધિક?”

ત્યારે સ્વામી ઈશ્વરચરણદાસજી બોલ્યા જે, “સમૈયા તો સાધારણ મુમુક્ષુના સમાસને અર્થે છે. મૂર્તિમાં તો અનાદિમુક્ત પહોંચાડે. સમૈયામાં તો વૃત્તિ ફેલાઈ જાય.”

પછી પુરાણી કેશવપ્રિયદાસજીએ પૂછ્યું જે, “પામર, વિષયી તથા મુમુક્ષુને મૂર્તિમાં કોણ લઈ જાય?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “અનાદિમુક્ત લઈ જાય. અ.મુ. સદ્‌. ગોપાળાનંદ સ્વામીએ ગઢડાના મંદિર ઉપર ચડીને સંકલ્પ કર્યો જે પ્રલય કેમ થાતો હશે! ત્યાં તો ઝાડ અને ઘર ધબોધબ પડવા લાગ્યાં તેથી સ્વામીશ્રીએ તુરત સંકલ્પ બંધ કર્યો, એવા મહાસમર્થ હતા. એવાની સાથે જીવ જોડે તો તે મૂર્તિમાં લઈ જાય.” ।।૮।।