સંવત ૧૯૮૨ની સાલમાં બાપાશ્રી સરસપુરમાં હતા. અને કાનજીભાઈ તથા મનજીભાઈનાં માતુશ્રીને જે દિવસે તાવ આવવાનો હતો તે દિવસે બાપાશ્રીએ અનંત સંતો ને મહારાજ સાથે વૃષપુરમાં એક હરિભક્તને દર્શન આપ્યાં. ત્યારે તેણે કહ્યું જે, “આટલા બધા સંતોને ક્યાં ઉતારશો? ને શું ખાવા આપશો?” ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “તારાં માતુશ્રીને આજ તાવ આવશે ને પરમ દિવસે અમે તેડવા આવીશું.” એમ કહીને અદૃશ્ય થઈ ગયા. પછી તેમને તાવ આવ્યો ને ત્રીજે દિવસે બાપાશ્રી એવી જ રીતે તે હરિભક્તને દર્શન આપી તેડી ગયા. તેમનો દેહ મૂક્યાનો તાર બાપાશ્રી ઉપર આવ્યો.

પછી બાપાશ્રીએ સ્વામીને કહ્યું જે, “ગયે વર્ષે એ મેડીથી પડ્યાં હતાં અને બહુ વાગ્યું હતું તેમને ધામમાં મૂકવાં હતાં, પણ તમે ના પાડી. પછી અમે કહ્યું જે, ‘તમે રાખવાનું કહો છો, પણ તમને આડાં આવશે.’ તોપણ તમે રખાવ્યાં. તે આજે આડાં આવ્યાં; કેમ જે આપણે પંદર-વીસ દિવસ અહીં રહેવું હતું તે હવે જવું પડશે.” એમ વાત કરી તૈયાર થઈ પોતે વૃષપુર પધાર્યા. ત્યાં પારાયણ બેસારી અને એમનું કાર્ય બહુ મોટું કર્યું હતું. ।।૯૧।।