એક વખત ઉપરદળના રામજીભાઈ સદ્‌. શ્રી નિર્ગુણદાસજી સ્વામીને દર્શને અમદાવાદ આવ્યા. ત્યાં સ્વામીશ્રીને શરીરે મંદવાડ જોઈને અતિ હેતને લીધે રોવા લાગ્યા ને બોલ્યા જે, “બાપજી! તમે તો ધામમાં જવા તૈયાર થયા ને હું કોને આધાર જીવીશ? મારાથી તમારો વિયોગ કેમ સહન થશે?”

ત્યારે સ્વામીશ્રીએ તેમને કહ્યું જે, “અમારા વિયોગનું દુઃખ ટાળે એવા કચ્છ દેશમાં વૃષપુર ગામમાં શ્રી અબજીભાઈ અનાદિ સિદ્ધ મુક્ત છે તે શ્રીજીમહારાજના સંકલ્પથી દેખાય છે. તે તમને સુખિયા કરશે, માટે ત્યાં જજો; પણ બીજે ક્યાંય જશો નહિ.” એવાં સ્વામીશ્રીનાં વચન સાંભળી રામજીભાઈ સંતોષ પામ્યા ને થોડા દિવસ રહી પોતાને ગામ ગયા. ।।૪।।