સંવત ૧૯૬૫ના ફાગણ વદ-૮ને રોજ સવારે બાપાશ્રીએ કૃપા કરીને વાત કરી જે, “ભગવાનના ભક્તે જાણે-અજાણે કાંઈક પાપ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત કરવું. તે કીડી-મંકોડી મરે તો સ્વામિનારાયણ નામનો મહામંત્ર જપવો. એ પ્રમાણે જેવું પાપ તેવું પ્રાયશ્ચિત્ત કરવું. તે પ્રાયશ્ચિત્ત કરવાથી દેહની શુદ્ધિ થાય છે અને ધ્યાને કરીને જીવની શુદ્ધિ થાય છે. ઘણું તપ કરવાથી તમોગુણ વધે છે; માટે જેણે કરીને શ્રીજીમહારાજને ભૂલી જવાય ને નિયમ થઈ શકે નહિ એવું અતિ તપ કે વ્રત કરવું નહિ. જે પ્રાયશ્ચિત્તના ઉપવાસ કે વ્રત છે તે તો લેણું કહેવાય; તે લેણું તો આપવું જ, તેમાં તો છૂટકો જ નહિ. કોઈનો દ્રોહ થવા દેવો નહિ અને જાણે-અજાણે થઈ જાય તો તેની પ્રાર્થના કરીને માફ કરાવવો. માળા ફેરવવી, પાંચ વખત માનસી પૂજા કરવી, ધ્યાન, ભજન, કથા, વાર્તા, નિયમ, ધર્મ, જે જે કરવું તે સર્વે બ્રહ્મયજ્ઞ થાય છે ને ખજીને પડે છે અને અંતે તેનું ફળ જે મૂર્તિનું સુખ તે મોટા આપે છે એટલે એ સુખમાં લઈ જાય છે.”

પછી સાધુ પુરુષોત્તમચરણદાસજીએ પૂછ્યું જે, “ગોત્ર કોને જાણવું?”

ત્યારે બાપાશ્રી બોલ્યા જે, “જેટલા પંચ વર્તમાને યુક્ત શ્રી સ્વામિનારાયણના ભક્ત હોય તે ગોત્ર જાણવું.” ।।૭૦।।